ગુજરાતની ધરતીએ આપેલા સમર્થ ગઝલકારો હંમેશાં મારી પ્રેરણા રહ્યા છે. 'ગઝલ' શબ્દ જ સાંભળતાં જ અલગ પ્રકારના સ્પંદનનો અનુભવ થાય છે. પાલનપુરી તહેઝીબના ઘણા ઉમદા ગઝલકારોએ ગુજરાતી ગઝલ સાહિત્યમાં પોતાનું યોગદાન આપ્યું છે, જેમાં સૈફ પાલનપુરી સાહેબ તથા શૂન્ય પાલનપુરી સાહેબની ગઝલો તો લોકમુખે ચર્ચાતી થઈ છે. તો મારા પ્રિય શાયર, ગઝલકાર એવા અસીમ રાંદેરી સાહેબની ગઝલો પણ લોકોના હૃદયમાં સ્થાન પામી છે; ખાસ કરીને તેમની "કંકોતરી" તેમજ "લીલા" જેવી રચનાઓએ મારા હૃદયમાં અમીટ છાપ છોડી છે.
જ્યારે જ્યારે હું એકાંતમાં હોઉં છું, ત્યારે ત્યારે ગઝલોએ મને પ્રેરક બળ પૂરું પાડે છે. આમ તો લખવાનો શોખ મને બાળપણથી જ હતો અને ત્યારથી જ લખતો રહ્યો, પરંતુ બાળસહજ લખાયેલી કવિતાઓ એ જ સમય પૂરતો આનંદ આપતી. અને પછી હું થોડા દિવસ ખિસ્સામાં ચબરખી લઈને પણ ફરતો, પણ જ્યારે ગણવેશ ધોવામાં જાય, સાથે કવિતાની ચબરખી પણ ધોવાઈ જતી. આમ, બાળપણની કવિતાઓ સંકલિત થઈ શકી નહીં, પણ કૉલેજ પછી એક નવી શરૂઆત કરી અને ધીમે ધીમે આ પડાવે પહોંચ્યો.
'ઝાકળ' એ માત્ર કાવ્ય સંગ્રહ નહીં, પરંતુ મારી જિંદગીની અણમોલ પળો અને સંવેદનાઓ છે. વળી આ કાવ્ય સંગ્રહ કોઈ ચોક્કસ વિષય પૂરતો મર્યાદિત નથી; તેમાં પ્રેમરસથી માંડીને આધ્યાત્મિકતા સુધીના તમામ ભાવોનું સમન્વય છે. રચનાના શબ્દો માત્ર સાંભળવા કે લખવા પૂરતા નહીં, પણ વાચકના હૃદયને સ્પર્શે તેવો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. તળપદા શબ્દોને લીધે ક્યાંક છૂટ પણ લીધેલી છે, તે બદલ ક્ષમા પ્રાર્થું છું.
મારી આ સફરમાં મને પ્રેરણા આપનાર મારા તમામ મિત્રો, વડીલો, ખાસ કરીને કે જેમણે મારી રચનાઓને સાંભળી, મને દાદ આપી, મારો ઉત્સાહ વધાર્યો તે તમામ મારા સ્નેહીજનોનો હું દિલથી આભાર માનું છું. મારો પ્રથમ કાવ્ય સંગ્રહ આપના હાથમાં સોંપતો હોવાથી હર્ષ અને સંકોચ બંનેનો અનુભવ કરું છું